દશામાં ની વ્રત સંપુણૅ કથા Vrat katha dasha ma
દશામાં ની વ્રત સંપુણૅ કથા Vrat katha dasha
અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો.
આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત લેનાર સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને દસ દિવસ સુધી ઉપવાસ કરે છે. માટીની સાંઢણી બનાવીને તેનું પૂજન કરે છે. દસમે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવામાં આવે છે. આ વ્રત પાંચ વરસ સુધી કરવું અને પછી ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંઢણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી.
ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે
રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. દસ સૂતરના તાંતણા લે છે એને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે. આ વ્રત કરવાથી શો લાભ
આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાનસુખ મળે.
રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ નહોતી. રાજાના અભિમાનભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયાં.
એ જ રાતે દશામા ગામમાં ફરવા નીકળ્યાં. આખી રાત આખા નગરમાં ફરી વળ્યાં. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો. રાજ્યની પ્રજા પણ ચીંથરેહાલ થઈ ગઈ.
રાજા-રાણી તો હાથે-પગે ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયાં.
પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરું જેવો બની ગયો હતો.
રાજા-રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યાં. સાથે બે કુંવરો પણ હતા.
ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘેર આવ્યાં. ત્યારે બન્ને રાજકુંવરોને ભૂખ લાગી. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે એણે ખિજાઈને કહ્યું
જા રે રાંડ ભિખારણ તને ખાવાનું માગતાં શરમ નથી આવતી
આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યાં. રસ્તામાં વાવ આવી. બન્ને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયાં ત્યાં દશામા એમને વાવમાં ખેંચી ગયાં. રાજા-રાણી કલ્પાંત કરતા કરતા આગળ વધવા લાગ્યાં.
રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યાં તેઓ ગયાં. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહિતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહિ.
આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું.
ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહિ. આ તો જરૂર આપણી દશા ફરી છે.
રાજાએ એક ચીંભડું લીધું. ચીભડું લઈને તેઓ ચાલતાં ચાલતાં જતાં હતાં ત્યાં એ નગરના સિપાઈઓ આવી ચડ્યા. તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા. આ ચીભડાની સામે નજર પડતાં જ ચીભડું રાજકુંવરનું માથું બની ગયું.
આથી સિપાઈઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયાં અને પૂરી દીધાં.
એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે.
આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંઢણીની પૂજા કરી.
કે આથી એ નગરના રાજાના સ્વપ્નામાં દશામા આવીને કહ્યું આ રાજા-રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યાં છે તો છોડી મૂકજે. તારો કુંવર સવારે ઘેર આવી જશે.
અને ખરેખર એમ બન્યું.
રાજા-રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યાં.
ચાલતાં ચાલતાં તેઓ પાછા આવ્યાં અને પોતાની બહેનના નગરમાં આવ્યાં. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકળું બની ગયો. સુખડી અને પેલું સાંકળું લઈને તેઓ વાવ પાસે આવ્યાં. ત્યાં દશામા એમના બન્ને કુંવરને લઈને એમની રાહ જોતાં બેઠાં છે.
રાજા-રાણી આવ્યાં એટલે તેમના કુંવર તેમને સોંપી દીધાં અને કહ્યું :
“હવે તમારી વળતી દશા થઈ છે. તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો.''
રાજા-રાણી પોતાના રાજ્યમાં પાછાં આવી ગયાં. રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું. રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું. વ્રત પૂરું કરીને
એમણે વ્રતનું ઉજવણું કર્યું.
રાજા-રાણીને જેવાં ફળ્યાં તેવાં સૌને ફળજો.